દિલ્હીમાં AQI 450ને પાર. 10 નવેમ્બર સુધી સ્કૂલો બંધ રાખવાનો આદેશ
દિલ્હીમાં હવાની ગુણવત્તા ગંભીર એટલે કે સૌથી ખતરનાક બની ગઈ છે. દિલ્હી વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર બની ગયું છે. વધી રહેલા પ્રદૂષણ વચ્ચે કેજરીવાલ સરકારે દિલ્હીમાં ઓડ-ઈવન ફોર્મ્યુલા લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આ ઓડ-ઇવન ફોર્મ્યુલા એક સપ્તાહ માટે લાગુ રહેશે. આ ફોર્મ્યુલા દિવાળીના બીજા દિવસેથી એટલે કે 13 નવેમ્બરથી 20 નવેમ્બર સુધી લાગુ રહેશે. પ્રદૂષણને રોકવા માટે કેજરીવાલ સરકારનું આ સૌથી મોટું પગલું છે.
દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અધ્યક્ષતામાં દિલ્હી સચિવાલયમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. યોજાયેલી બેઠકમાં દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાય, શિક્ષણ મંત્રી આતિશી, આરોગ્ય મંત્રી સૌરભ ભારદ્વાજ અને અન્ય વિભાગોના અધિકારીઓ હાજર હતા. બેઠકમાં ગોપાલ રાયે કહ્યું, ‘દિલ્હીમાં ફટાકડા પર પ્રતિબંધ છે. આમ છતાં, છેલ્લી વખત આપણે જોયું કે ઘણી જગ્યાએ ફટાકડા ફોડવામાં આવ્યા હતા. પોલીસને ટીમોને એલર્ટ કરવાની સૂચના આપવામાં આવી છે, કારણ કે દિવાળી આવી રહી છે, ત્યારે વર્લ્ડ કપની મેચ છે અને છઠ્ઠ પણ આવી રહી છે. ખાસ કરીને હું ઉત્તર પ્રદેશ અને હરિયાણાની ભાજપ સરકારોને ફટાકડા પર પ્રતિબંધ મૂકવાની વિનંતી કરું છું. જેથી પ્રદૂષણની સ્થિતિ વધુ વણસતી અટકાવી શકાય.
અહીં દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે શનિવારે કેન્દ્રને પત્ર લખ્યો હતો. તેમણે કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવને પાંચ રાજ્યો (દિલ્હી, યુપી, પંજાબ, રાજસ્થાન અને હરિયાણા)ના પર્યાવરણ મંત્રીઓ સાથે ઈમર્જન્સી મિટિંગ યોજવા જણાવ્યું છે. તેમણે કહ્યું કે દિલ્હીનાં પડોશી રાજ્યોમાં કમિશન ઓફ એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM)ના નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે.
દિલ્હીમાં 6 નવેમ્બરે સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક (AQI) 470 નોંધાયો હતો. આ અત્યંત ગંભીર સ્તર મનાય છે. 470 AQI એ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ની પ્રદૂષણ મર્યાદા કરતાં 20 ગણું વધુ છે. WHO અનુસાર, AQI 0 થી 50 વચ્ચે સુરક્ષિત માનવામાં આવે છે. એપોલો હોસ્પિટલના ડૉક્ટર નિખિલ મોદીએ લોકોને માસ્ક પહેરવાની સલાહ આપી છે. દિલ્હી AIIMSના મેડિસિન વિભાગના એડિશનલ પ્રોફેસર ડૉ. પીયૂષ રંજને જણાવ્યું હતું કે ખરાબ હવાની ગુણવત્તાને કારણે વિવિધ પ્રકારના કેન્સરનું જોખમ રહેલું છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે વાયુ પ્રદૂષણ શ્વસનતંત્રને નુકસાન પહોંચાડે છે અને હાર્ટ એટેક અને બ્રેઈન સ્ટ્રોકને પ્રોત્સાહન આપે છે.
છેલ્લા 6 દિવસથી દિલ્હીમાં AQI 450થી ઉપર નોંધાઈ રહ્યો છે. દિલ્હીમાં GRAP-IV ચાલુ કરી દેવામાં આવ્યો છે. GRAP-IVના અમલીકરણ સાથે, GRAP-I, II અને IIIના નિયમો પણ લાગુ રહેશે. આ અંતર્ગત નોન-જ્યુરી કન્સ્ટ્રક્શન વર્ક, BS-3 પેટ્રોલ અને BS-4 ડીઝલ ફોર વ્હીલર પર પ્રતિબંધ છે. GRAP-IV એ જગ્યાએ લાગુ કરવામાં આવે છે જ્યારે AQI છેલ્લા સ્ટેજ પર એટલે કે 450-500ની વચ્ચે પહોંચે છે
દિલ્હીમાં પ્રદૂષણ ઘાતક સ્તરે પહોંચી ગયું છે. દિલ્હીની આપ સરકારના પર્યાવરણ મંત્રીએ કહ્યું હતું કે અમે દિવાળીના ટાણે ધોરણ 11 સુધીના ક્લાસ બંધ રાખવાનો નિર્ણય લઈ રહ્યા છીએ. હવે ધોરણ 10 અને 12 સિવાયના તમામ ધોરણના વિદ્યાર્થીઓને 11 નવેમ્બર સુધી રજા જાહેર કરવામાં આવી છે. હાલમાં ફક્ત ધોરણ 5 સુધીના ક્લાસના વિદ્યાર્થીઓને રજા પર રાખવામાં આવ્યા હતા. દિલ્હીના શિક્ષણ મંત્રી આતિશીએ કહ્યું છે કે વધતા પ્રદૂષણને જોતા તમામ શાળાઓ ધોરણ 6 થી 12 સુધીના વર્ગો ઓનલાઈન ચલાવી શકે છે. અગાઉ, સરકારે બાંધકામ પર પ્રતિબંધ મૂક્યો હતો અને તમામ શાળાઓને 10 નવેમ્બર સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો હતો.
દિલ્હી વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર બની ગયું છે. સ્વિસ જૂથ IQAirના વર્લ્ડ એર ક્વોલિટી ઈન્ડેક્સમાં વિશ્વના 10 સૌથી પ્રદૂષિત શહેરોમાં ત્રણ ભારતીય શહેરોનો સમાવેશ થાય છે. આમાં દિલ્હી ટોચ પર છે, જ્યારે કોલકાતા પાંચમા અને મુંબઈ છઠ્ઠા ક્રમે છે. બીજા નંબર પર પાકિસ્તાનનું લાહોર શહેર છે.
અહીં પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે, ફાયર વિભાગની 12 ગાડીઓને રસ્તાની બાજુનાં વૃક્ષો પર પાણી છાંટવા માટે તહેનાત કરવામાં આવી છે. સવારથી સાંજ સુધી ફાયર ફાયટરો વધુ પ્રદૂષણ ધરાવતા વિસ્તારોમાં પાણીનો છંટકાવ કરી રહ્યાં છે. આ પહેલાં જલ બોર્ડ અને MCDના ટેન્કરો ઘાતક પ્રદૂષણ ઘટાડવાના કામમાં લાગેલાં હતાં.