દર્દીના પિત્તાશયમાંથી 1628 પથરી નીકળી, ઓપરેશન કરવામાં 2 કલાક તેમજ પથરી ગણવામાં 3 કલાક લાગ્યા

આટલી મોટી સંખ્યામાં પથરીઓ દૂર કરી તેવો પ્રથમ કિસ્સો મેડિકલ ઇતિહાસમાં જોવા મળ્યો

વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં રહેતા 35 વર્ષીય મોહંમદ ખલીક પઠાણ ફેબ્રિકેશનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમના પિત્તાશયમાં પથરી હોવાની જાણ થતા તે તુરંત જ હોસ્પિટલમાં દાખલ થયા હતા. અહીં તેના પિત્તાશયની પથરી લેપ્રોસ્કોપિક સર્જરીથી દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ઓપરેશનમાં પિત્તાશયમાંથી 1628 જેટલી પથરીઓ દૂર કરવામાં આવી હતી. આટલી મોટી સંખ્યામાં પથરીઓ દૂર કરી તેવો પ્રથમ કિસ્સો મેડિકલ ઇતિહાસમાં જોવા મળ્યો છે. લેપ્રોસ્કોપિક સર્જન ડૉ. લલીત મછાર, ડૉક્ટર જીતેન્દ્ર મિસ્ત્રી અને એનેસ્થેટીસ ડૉ. તુષાર ચોકસીએ આ ઓપરેશનને પાર પાડ્યુ હતું.
ખાસ કરીને પિત્તાશયમાં પથરી થવા પાછળના કારણોમાં ચરબી, માંસાહાર અને ફાસ્ટફુડનો વધુ પડતો આહાર કારણભૂત હોવાનું તબીબો માને છે. આ ઉપરાંત ચયાપચયની પ્રક્રિયામાં ઉભા થયેલા અવરોધના કારણે પિત્તાશયમાં પથરી થાય છે. લેપ્રોસ્કોપિક સર્જરી થકી દૂર કરાયેલી પથરી ગણવામાં સ્ટાફને 3 કલાક ઉપરાંતનો સમય લાગ્યો હતો. જ્યારે લેપ્રોસ્કોપિક સર્જરી કરવામાં 2 કલાક જેટલો સમય લાગ્યો હતો. હાલ મોહંમદ ખલીક પઠાણની તબિયત સુધારા પર છે અને તે એકદમ તંદુરસ્ત છે.

દર્દીના પિતાશયમાંથી આટલી મોટી સંખ્યામાં પથરીઓ નીકળતા તબીબો પણ અચંબિત થઇ ગયા હતા.

જો કે, શરીરમાં આટલી પથરીઓ હોવા છતા પણ દર્દીને અન્ય કોઈ ગંભીર સમસ્યા થઈ નથી અને હાલ ઓપરેશન પછી તે એકદમ તંદુરસ્ત છે.

ડૉક્ટર લલિત મછારે જણાવ્યું હતું કે, મોહંમદ ખલીક પઠાણને ઇમર્જન્સી દર્દી તરીકે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એને પેટલમાં સખત દુઃખાવો થતો અને સોનોગ્રાફી કરાવતા ખબર પડી હતી કે, તેને પિતાશયની પથરીનો દુઃખાવો છે. અગાઉ તેને ઓપરેશન પ્લાન કર્યું હતું પણ તે વખતે લંગનો સોજો હતો. જેથી તે વખતે 10 દિવસ ઓપરેશન મોડું કર્યું હતું અને ગઇકાલે લેપ્રોસ્કોપિક સર્જરી કરી હતી. મારી કરિયરમાં પહેલીવાર આટલી મોટી સંખ્યામાં પિતાશયમાંથી પથરીઓ કાઢી છે.