યાત્રાધામ દ્વારકા અને બેટ દ્વારકામાં મેગા ડિમોલિશનની કાર્યવાહી, બેટદ્વારકામાં ખાનગી વાહનો પર પ્રતિબંધ, હર્ષ સંઘવીએ શેર કર્યો વીડિયો

megaDemolition

દેવભૂમિ દ્વારકાના ઓખામંડળ બેટદ્વારકા સહિત અનેક વિસ્તારમાં તંત્ર દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. યાત્રાધામ દ્વારકાના આવળપરા વિસ્તાર, રૂપેણ બંદરના શાંતિનગર વિસ્તાર તેમજ બેટ દ્વારકામાં ગેરકાયદે ખડકાયેલાં દબાણો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. આજે સવારથી આશરે 1000 જેટલા પોલીસ જવાનોના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સરકારી બુલડોઝરો ત્રાટક્યા છે અને ગેરકાયદે બાંધકામો તોડી પાડવાનું શરૂ કરાયું છે. મહેસુલ તંત્ર ઉપરાંત પોલીસ, પીજીવીસીએલ તથા સ્થાનિક નગરપાલિકા અને પંચાયતના અધિકારીઓનો કાફલો પણ આ દબાણ હટાવ ઝુંબેશમાં જોડાયો છે. આ વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે પોલીસતંત્ર દ્વારા સંપૂર્ણપણે સાવચેતી તેમજ સીસીટીવી અને ડ્રોન કેમેરાની મદદથી બાજનજર રાખવામાં આવી રહી છે.

આજે બેટ દ્વારકા વિસ્તારમાં આશરે 400 જેટલા ધાર્મિક રહેણાંક અને કોમર્શિયલ દબાણો હટાવવા સરકારી તંત્ર દ્વારા મેગા ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું છે. આ ઓપરેશનના કારણે આસપાસના વિસ્તારોમાં પણ સજ્જડ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે અને ઘનિષ્ટ પેટ્રોલીંગ હાથ ધરાયું છે. કોઇ અનિચ્છનીય ઘટના બને નહીં તે માટે સતત તકેદારી રાખવામાં આવી રહી છે. હાલ બેટ દ્વારકામાં તમામ ખાનગી વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તમામ યાત્રિકો માટે બેટ દ્વારકામાં આવન-જાવન માટે પ્રતિબંધ લગાવાયો છે. બેરિકેડ્સ ગોઠવી કોઇપણ યાત્રિક અહીં ન આવે એનું ખાસ ધ્યાન રખાઇ રહ્યું છે. આગળની સૂચના ના મળે ત્યાં સુધી બેટ દ્વારકામાં તમામ ખાનગી વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આજે સવારથી શરૂ કરાયેલા ઓપરેશન ડિમોલિશનમાં ઓખામંડળના બેટ દ્વારકા નજીકના બાલાપર ખાતે આશરે 450 જેટલા આસામીને અપાયેલી નોટિસો બાદ આ કામગીરી શરૂ કરવામાં આવી હતી. મેગા ડિમોલિશન માટે બેટ દ્વારકા સહિત તમામ સ્થળોમાં કામગીરી હેતુ જેસીબી, બુલડોઝર, ટ્રેક્ટર વગેરે યાંત્રિક સામગ્રીઓને સજ્જ કરી દેવાઈ છે. આ પૂર્વે જિલ્લા પોલીસવડા નિતેશ પાંડે્યની રૂબરૂ ઉપસ્થિતિમાં જિલ્લાના દ્વારકા અને ખંભાળિયાના બંને ડીવાયએસપી સાગર રાઠોડ અને હાર્દિક પ્રજાપતિ સાથે એલ.સી.બી., એસ.ઓ.જી. તેમજ જિલ્લાભરનો પોલીસકાફલો પી.આઇ., પી.એસ.આઇ, ઉપરાંત એસ.આર.પી. અને મહિલા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આશરે 1000 જેટલા સુરક્ષાકર્મીને ડિમોલિશનના સ્થળે તહેનાત કરવામાં આવી દીધા હતા. આટલું જ નહીં, દરિયાઈ પેટ્રોલિંગ તેમજ સુરક્ષા વ્યવસ્થા પણ મજબૂત રખાઈ હતી.

યાત્રાધામ દ્વારકા અને બેટ દ્વારકા વિસ્તારમાં રહેલાં વ્યાપક દબાણ અંગે કરવામાં આવેલા સર્વે તેમજ જરૂરી કાનૂની પ્રક્રિયા બાદ આજથી બેટ-બાલાપર વિસ્તારમાં આ પ્રકારનાં ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી પુનઃ શરૂ કરવામાં આવી છે, જેમાં ગેરકાયદે ધાર્મિક દબાણો, કેબિનો અને મકાનોને દૂર કરવામાં આવી રહ્યાં છે. તાજેતરમાં દ્વારકાને બેટ દ્વારકાના જુદા-જુદા વિસ્તારોમાં કરાયેલા આ પ્રકારના દબાણ અંગે આશરે 450 જેટલા આસામીઓને નોટિસ ફટકારી અને પોતાના દબાણો સ્વૈચ્છિક રીતે હટાવવા જણાવાયું હતું.

દ્વારકા એસડીએમ અમોલ આવટેએ જણાવ્યું હતું કે દ્વારકા અને બેટ દ્વારકામાં જે કોરિડોરના પ્રોજેક્ટ છે એને ધ્યાનમાં રાખીને નગરપાલિકાએ છેલ્લા 15 દિવસમાં 250 નોટિસ આપી હતી અને પોતાના દબાણો સ્વૈચ્છિક રીતે હટાવવા જણાવાયું હતું. અંતે ગઈકાલે પોલીસ અધિક્ષક અને દ્વારકા પ્રાંત અધિકારી દ્વારા અહીં દબાણ હટાવવાની ઝુંબેશ આજથી શરૂ કરવા માટેનો તખ્તો ઘડવામાં આવ્યો હતો.
ત્યારબાદ દ્વારકાનું જે લાઇટ હાઉસ છે ત્યાં 150 સ્ક્વેર મીટરની જમીન ખાલી કરાવાઇ છે, જેની અંદાજિત કિંમત દોઢ કરોડ છે. એ બાદ દ્વારકા હાથીગેટ પાસે 200 સ્ક્વેર મીટરની જમીન 3/1/2024ના ખાલી કરાવાઇ હતી જેની કિંમત 3 લાખ થાય છે. ત્યારબાદ મેઇન રોડ દ્વારકા જેના પર અંદાજિત 500 સ્ક્વેર મીટરની જમીન ઉપર જે ગેરકાયદે દબાણ થયું હતું એને પણ 3/1/2024ના રોજ ખાલી કરાવાયું હતું. જેની કિંમત અંદાજિત 5 કરોડ રૂપિયા છે.

ગૃહ રાજ્ય મંત્રીએ શેર કર્યો વીડિયો

સમગ્ર મામલે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને દબાણ દૂર કરવાની પ્રક્રિયાના વીડિયો શેર કર્યા છે. આ સાથે તેઓએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, ‘બેટ દ્વારકા દેશભરના કરોડો લોકોની આસ્થાની ભૂમિ છે. કૃષ્ણ ભૂમિ પર કોઈપણ પ્રકારના ગેરકાયદે દબાણ નહીં થવા દઈએ. આપણી આસ્થા અને સંસ્કૃતિની રક્ષા કરવી અમારી જવાબદારી છે.’

બેટ દ્વારકામાં આજ સવારથી અત્યાર સુધી 40 ઘરનું ડિમોલિશન થયું છે, જે ગૌચર જમીન પર હતાં, જેની કિંમત 70 લાખ રૂપિયા છે. કેટલાંક બાંધકામ છે, જે ધર્મને લગતાં છે. એમાં કબ્રસ્તાનને લઇને કોઇ બાંધકામ છે. આ ઉપરાંત કેટલાંક બાંધકામ છે, જે મંદિરની આજુબાજુ છે. જેને ડિમોલિશન કરી દીધાં છે, જોકે આ સિવાય કેટલાંક બાંધકામો છે, જેને લઇ ગઇકાલે હાઇકોર્ટે સ્ટે આપ્યો છે. તેને અમે હજુ સુધી ટાર્ગેટ નથી કર્યાં. હાઇકોર્ટની સુનાવણીની તારીખ 20/1/2024 છે. એ બાદ કોર્ટનાં આદેશ મુજબ જે કાર્યવાહી કરવાની થશે તે કરીશું.

ઓખામંડળના બેટ દ્વારકા વિસ્તારમાં ઓક્ટોબર 2022માં હાથ ધરાયેલા ઓપરેશન ડિમોલિશનમાં કરોડો રૂપિયાની કિંમતની લાખો ફૂટ જગ્યા પરનાં દબાણો હટાવાયાં હતાં, એ બાબત સમગ્ર રાજ્યમાં નોંધનીય બની રહી હતી. આ પછી બીજા રાઉન્ડમાં યાત્રાધામ હર્ષદ, ભોગાત વગેરે સ્થળોએ પણ માર્ચ 2023ના સમયગાળામાં રેવન્યુ વિભાગ દ્વારા પોલીસતંત્રને સાથે રાખીને ધાર્મિક તેમજ રહેણાક-કોમર્શિયલ દબાણોનો કડૂસલો બોલાવી દીધો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસવડા નિતેશ પાંડે્યની સીધી દેખરેખ તેમજ માઇક્રો પ્લાનિંગ હેઠળ કરાયેલી આ દબાણ હટાવ ઝુંબેશ આવકારદાયક બની હતી.