રાજ્યનાં તમામ સરકારી કર્મચારી માટે હેલ્મેટ ફરજિયાત, પાછળ બેસનારે પણ હેલ્મેટ પહેરવુ ફરજિયાત

Helmet

ટુ-વ્હીલર લઈને આવતા કર્મચારીએ હેલ્મેટ પહેર્યું હશે તો જ કચેરીમાં પ્રવેશ મળશે, નહીં પહેરે તો પોલીસ કરશે કાર્યવાહી

અમદાવાદ પોલીસ કમિશનર કચેરીમાં હેલ્મેટ વગર પ્રવેશ પર પ્રતિબંધ બાદ આજે (19 ઓક્ટોબર) રાજ્ય સરકાર દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં રાજ્યના દરેક સરકારી કર્મચારીએ હેલ્મેટ ફરજિયાત પહેરવું પડશે.

ગુજરાત હાઇકોર્ટની ઝાટકણી બાદ રાજ્યમાં હવે તમામ સરકારી કર્મચારીઓને ટુ વ્હીલર ચલાવતા સમયે હેલ્મેટ ફરજિયાત પહેરવાનો આદેશ અપાયો છે. સચિવાલયના તમામ વિભાગ ઉપરાંત તમામ સરકારી, અર્ધસરકારી કચેરી, બોર્ડ-નિગમ, સ્થાનિક સ્વરાજ્યની કચેરીઓ વગેરેમાં ટુ વ્હીલર વાહનો પર આવતા અધિકારીઓ/કર્મચારીઓ અને પાછળ બેસનાર વ્યક્તિ માટે હેલ્મેટ પહેરવી ફરજિયાત રહેશે. હેલ્મેટ વગર કર્મચારીને સરકારી કચેરીમાં પ્રવેશ નહીં મળે. આ કામ માટે કચેરીમાં પોલીસની જરૂર હશે તો તેની પણ ફાળવણી કરવામાં આવશે.

રાજ્ય સરકારે જારી કરેલા પરિપત્રમાં જણાવાયું છે કે, રાજ્યમાં વધતા જતા માર્ગ અકસ્માતો અને તેનાથી થતી ગંભીર ઈજા અને મૃત્યુના બનાવો ધ્યાને લઈને માર્ગ સલામતી, લોકજાગૃતિ તથા ટ્રાફિક નિયમોનું પાલન અત્યંત જરૂરી છે. ટુ વ્હીલર વાહન ચાલકો માટે હેલ્મેટનો ઉપયોગ એ કાયદાનું પાલન ઉપરાંત વ્યક્તિની સુરક્ષા સુનિશ્ચિત કરે છે, જેના પરિણામે માર્ગ અકસ્માતો વખતે ગંભીર ઇજાઓ અને મૃત્યુની શક્યતામાં નોંધપાત્ર ઘટાડો કરી શકાય તેમ છે. આથી, રાજય સરકારના તમામ સરકારી કર્મચારીઓ-અધિકારીઓ દ્વારા જવાબદારીપૂર્વક કાયદાનું પાલન અને સુરક્ષા માટે વાહન ચલાવતા સમયે નિયત ધોરણસરનો હેલ્મેટ ફરજિયાતપણે ઉપયોગ કરે તે આવશ્યક છે.

મોટર વાહન અધિનિયમ, 1988 મુજબ નિયમ-129 હેઠળ, દ્વિચક્રી વાહન ચલાવતા સમયે હેલમેટ પહેરવું ફરજિયાત હોવાથી સરકારની પુખ્ત વિચારણાને અંતે રાજ્યની તમામ સરકારી કચેરીઓનાં પરિસરમાં દ્વિચક્રી વાહન મારફતે આવતા-જતા અધિકારીઓ- કર્મચારીઓ- સ્ટાફ માટે નીચે મુજબની સૂચનાઓ પરિપત્રિત કરવામાં આવે છે.

  • સચિવાલયના તમામ વિભાગો, રાજ્યની તમામ સરકારી-અર્ધસરકારી કચેરીઓ, બોર્ડ, નિગમો, પૂર્ણ કે આંશિક સરકારી અનુદાન લેતી સંસ્થાઓ, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં દ્વિચક્રી વાહન (મોટર સાઇકલ, સ્કુટર વગેરે) પર આવતા-જતાં વાહનચાલક તથા પાછલી સીટ પર બેસનાર અધિકારીઓ/કર્મચારીઓએ કરજિયાતપણે, નિયત ધોરણસરનું હેલ્મેટ પહેરીને જ સરકારી કચેરીના પરિસરમાં પ્રવેશ લેવાનો રહેશે, અન્યથા તેઓને સરકારી કચેરીના પરિસરમાં પ્રવેશ અટકાવી શકાશે.
  • આ સૂચનાઓના યોગ્ય અમલીકરણ માટે સંબંધિત કચેરીના વડાઓએ નિયંત્રણ હેઠળના સર્વે અધિકારીઓ/કર્મચારીઓને જરૂરી સૂચના તથા તે અંગે ચકાસણી થાય તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની રહેશે.
  • ઉક્ત વ્યવસ્થા માટે જરૂર જણાય તો પોલીસ ખાતા/સલામતી દળના કર્મચારીઓની સેવા મેળવી શકાશે.

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેર પરિપત્ર જાહેર કરાયો હતો. જેમાં પોલીસ વિભાગમાં ફરજ બજાવતા અધિકારી, કર્મચારીને હેલ્મેટ પહેરવા સૂચના અપાઈ હતી. અમદાવાદ પોલીસ વિભાગના કર્મચારીઓને ટુ વ્હીલર ચલાવતી વખત નિયમોનું પાલન કરવા સૂચના અપાઈ. પોલીસ અધિકારીને તેમની નીચેનો સ્ટાફ હેલ્મેટ પહેરી છે કે નહિ તેની ચકાસણી કરાશે. તેમજ હેલ્મેટ પહેર્યા વગર આવનારા કર્મચારીને કચેરીમાં પ્રવેશ નહિ અપાય. સાથએ જ હેલ્મેટ વગરના કર્મચારીઓ વિરૂદ્ધ એમ.વી એક્ટ ની કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ જણાવાયું હતું.