ભારતીય પોસ્ટ પર હુમલો કરવાનું પાકિસ્તાનની બોર્ડર એક્શન ટીમનું કાવતરું નિષ્ફળ માર્યા ગયેલા ઘૂસણખોરોમાં પાકિસ્તાની સેનાના 2-3 સૈનિકો હોવાનું પણ સામે આવ્યું
ભારતીય સેનાએ જમ્મુ-કાશ્મીરમાં લાઈન ઓફ કંટ્રોલ(એલઓસી) પર ઘૂસણખોરીનો પ્રયાસ કરતા 7 પાકિસ્તાની ઘૂસણખોરોને ઠાર માર્યા છે. માર્યા ગયેલા ઘૂસણખોરોમાં પાકિસ્તાની સેનાના 3 સૈનિકો હોવાનું પણ સામે આવ્યું છે. સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે આ ઘટના 4 ફેબ્રુઆરીની રાત્રે પૂંછ જિલ્લાના કૃષ્ણા ઘાટી પાસે બની હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે પાકિસ્તાની ઘૂસણખોરોની યોજના ભારતીય સેનાની આગળની ચોકી પર હુમલો કરવાની હતી. ભારતીય સેનાને આ અંગે માહિતી મળી અને તેમણે 4 ફેબ્રુઆરીની રાત્રે એલઓસી પર પાકિસ્તાની ઘૂસણખોરોને ઠાર કર્યા છે. આ ઘટના જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લાના કૃષ્ણા ખીણ સેક્ટરમાં બની હતી.
પાકિસ્તાની ઘુસણખોરો પાકિસ્તાનની કુખ્યાત બોર્ડર એક્શન ટીમ (BAT)ની મદદથી ભારતીય સૈનિકો પર હુમલો કરવા માંગતા હતા. આ ટીમ સરહદ પારની કામગીરીમાં નિષ્ણાત છે. બોર્ડર એક્શન ટીમ દ્વારા આતંકીઓને એલઓસી પાર કરીને છુપાઈને હુમલાઓ કરવા માટે તાલીમ આપવામાં આવે છે. આ પાકિસ્તાની એજન્સીએ અગાઉ પણ સરહદ પર ભારતીય સૈનિકો પર હુમલો કર્યો છે. આ અનુભવનો લાભ લઈને આ ટીમ ફરી એકવાર ભારતીય સૈનિકોને નિશાન બનાવવા માંગતી હતી.
ઘૂસણખોરી દરમિયાન માર્યા ગયેલા 7 લોકોમાં BATના 3-4 સભ્યો પણ સામેલ હોવાની જાણકારી મળી છે. જોકે, સૂત્રોનાં જણાવ્યા અનુસાર આ ઘટનામાં 5 આતંકવાદીઓ માર્યા ગયા છે. આમાં BAT ટીમના સભ્યોનો ઉલ્લેખ કર્યો નહોતો.
સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતીય સૈનિકોએ પાકિસ્તાની ઘુસણખોરોને એલઓસી પર દેખાતાની સાથે જ ઠાર માર્યા હતા. આ કાર્યવાહીમાં માર્યા ગયેલા આતંકવાદીઓ આતંકવાદી સંગઠન અલબદ્ર ગ્રુપ સાથે જોડાયેલા હોઈ શકે છે. ઘૂસણખોરીનો આ પ્રયાસ એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે પાકિસ્તાન જમ્મુ અને કાશ્મીર અંગે પોતાનો પ્રચાર ફેલાવી રહ્યું છે અને 5 ફેબ્રુઆરીને કાશ્મીર એકતા દિવસ તરીકે ઉજવવાનો ડોળ કરી રહ્યું છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે 6 ફેબ્રુઆરીએ કહ્યું હતું કે અમે ભારત સાથેના તમામ મુદ્દાઓ વાતચીતથી ઉકેલીશું.
પાકિસ્તાની PMના નિવેદન પછી જ સરકારે જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાને PoKના રાવલકોટમાં રેલી યોજવાની પરવાનગી આપી. રેલીમાં બંદૂકો અને AK-47 લહેરાતા ભારત વિરોધી નારા લગાવવામાં આવ્યા હતા. રેલીમાં હમાસના નેતાઓ પણ હાજર હતા.
પાકિસ્તાનના કહેવાતા કાશ્મીર એકતા દિવસ નિમિત્તે 5 ફેબ્રુઆરીના રોજ, લાહોરમાં આયોજિત એક રેલીમાં, આતંકવાદી હાફિઝ સઈદના પુત્ર તલ્હા સઈદે ભારત વિરુદ્ધ ભડકાઉ ભાષણ આપ્યું હતું. રેલીને સંબોધતી વખતે તલ્હા સઈદ બબડતા જોવા મળ્યા. તેમણે કહ્યું કે તેઓ કાશ્મીરને આઝાદ કરાવી દેશે. તેમણે સ્ટેજ પર ઘણા નાટક કર્યા અને કાશ્મીર અંગે શપથ લીધા. તલ્હા સઈદે એવી પણ માંગ કરી હતી કે પાકિસ્તાની સરકારે તેની નીતિની સમીક્ષા કરવી જોઈએ અને તેના પિતા હાફિઝ સઈદને જેલમાંથી મુક્ત કરવા જોઈએ.