દિલ્હી સ્થિત રાષ્ટ્રપતિ ભવનના દરબાર હોલ અને અશોક હોલ હવેથી “ગણતંત્ર મંડપ” અને “અશોક મંડપ” તરીકે ઓળખાશે

rashtrapatiBhawan

ભારતના રાષ્ટ્રપતિનું સત્તાવાર રહેઠાણ અને કાર્યાલયમાં પરિવર્તનનો પવન ફૂંકાયો છે. રાષ્ટ્રપતિ ભવનની અંદર સ્થિત દરબાર હોલ અને અશોક હોલના નામ બદલવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદી મુજબ, દરબાર હોલનું નામ હવે ગણતંત્ર મંડપ અને અશોક હોલનું નામ અશોક મંડપ રહેશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુરુવારે રાષ્ટ્રપતિ ભવનના બે હોલનાં નામ બદલવાની જાહેરાત કરી હતી. હવેથી દરબાર હોલ ગણતંત્ર મંડપ તરીકે ઓળખાશે અને અશોક હોલ અશોક મંડપ તરીકે ઓળખાશે. રાષ્ટ્રપતિના સચિવાલય દ્વારા આ અંગે એક અખબારી યાદી બહાર પાડવામાં આવી છે.

સરકારે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે ‘દરબાર’, જે ભારતીય શાસકો અને અંગ્રેજોની અદાલતો અને એસેમ્બલીઓનો ઉલ્લેખ કરે છે, ભારત પ્રજાસત્તાક બન્યા પછી તેની સુસંગતતા ગુમાવી દીધી છે. રાષ્ટ્રપતિ ભવન તરફથી કહેવામાં આવ્યું હતું કે ભારત હવે પ્રજાસત્તાક છે. આવી સ્થિતિમાં દરબાર જેવા શબ્દનો ઉપયોગ કરવો યોગ્ય નથી.

રિલીઝ મુજબ, રાષ્ટ્રપતિ ભવનની આસપાસનાં ભારતીય સાંસ્કૃતિક મૂલ્યો અને પ્રકૃતિને પ્રતિબિંબિત કરવા માટે બંને હોલનાં નામ બદલવામાં આવ્યાં છે. રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ ભવન, જે ભારતીય રાષ્ટ્રપતિનું કાર્યાલય અને નિવાસસ્થાન છે, એ દેશનું પ્રતીક અને લોકોની અમૂલ્ય ધરોહર છે. આવી સ્થિતિમાં રાષ્ટ્રપતિ ભવનમાં ભારતીય સંસ્કૃતિની ઝલક બતાવવાના સતત પ્રયાસો થઈ રહ્યા છે.

ભારતીય પ્રજાસત્તાકનું રાષ્ટ્રીય પ્રતીક સારનાથનો અશોક સ્તંભ પણ છે. આ શબ્દ અશોક વૃક્ષ સાથે પણ જોડાયેલો છે, જેનું ભારતીય ધાર્મિક પરંપરાઓ તેમજ કલા-સંસ્કૃતિમાં ઊંડું મહત્ત્વ છે. ‘અશોક હોલ’નું નામ બદલીને ‘અશોક મંડપ’ રાખવા પાછળનો હેતુ ભાષામાં એકરૂપતા લાવવા, અંગ્રેજીકરણના નિશાન દૂર કરવા અને ‘અશોક’ શબ્દ સાથે સંકળાયેલાં મૂલ્યોને જાળવી રાખવાનો છે.

ઉલ્લેખનીય છે કે, દરબાર હોલ પુરસ્કારો આપવાના કામમાં લેવાય છે જ્યારે અશોક હોલનો ઉપયોગ બોલરૂમ તરીકે કરવામાં આવ્યો છે. અશોક એટલે કોઈપણ પ્રકારના દુ:ખથી મુક્ત થવું. આવી સ્થિતિમાં અશોક નામ યથાવત રહેશે, પરંતુ હવે તેમાં હોલને બદલે મંડપ શબ્દ ઉમેરવામાં આવશે.

દરબાર હોલમાં રાષ્ટ્રીય પુરસ્કારોની રજૂઆત જેવાં મહત્ત્વપૂર્ણ કાર્યો અને ઉજવણીનું આયોજન કરવામાં આવે છે. ભારતીય શાસકો અને અંગ્રેજો દ્વારા આયોજિત અદાલતો અને સભાઓ પછી આ હોલનું નામ ‘દરબાર’ રાખવામાં આવ્યું હતું, પરંતુ 1950માં દેશ પ્રજાસત્તાક બન્યા પછી આ નામ હવે વાજબી રહ્યું નથી, આથી આ હોલનું સાચું નામ ‘ગણતંત્ર ભવન’ છે.

અશોક હોલ પહેલાં બોલરૂમ હતો, જ્યાં અંગ્રેજો બોલ ડાન્સનું આયોજન કરતા હતા. ‘અશોક’ શબ્દનો અર્થ થાય છે ‘જે તમામ દુ:ખોથી મુક્ત છે’ અથવા ‘જેને કોઈ શોક કે દુ:ખ નથી’. એ સમ્રાટ અશોકના નામની પણ યાદ અપાવે છે, જે એકતા અને શાંતિપૂર્ણ સહઅસ્તિત્વનું પ્રતીક છે.