ચંદ્રયાન-3 મિશન : ઈસરોએ શેર કર્યો વિક્રમ લેન્ડરમાંથી બહાર આવી રહેલા પ્રજ્ઞાન રોવરનો વીડિયો

પ્રજ્ઞાન રોવર વિક્રમ લેન્ડર છોડી ચંદ્રની સપાટી પર વધ્યું આગળ
રોવર
ચંદ્રની સપાટી પર 12 દિવસમાં અડધો કિલોમીટર ફરશે

ભારતના ચંદ્રયાન-3 મિશનની સફળતાના વધુ એક સમાચાર સામે આવ્યા છે. ઈસરોએ પ્રજ્ઞાન રોવર બહાર આવે છે તેનો વિડીયો શેર કર્યો છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર વિક્રમ લેન્ડરે બુધવારે સફળ સોફ્ટ લેન્ડિંગ કર્યા બાદ શુક્રવારે તેમાંથી પ્રજ્ઞાન રોવર પણ સફળતાપૂર્વક બહાર આવ્યું હતું. પ્રજ્ઞાન રોવર ચંદ્રની સપાટી પર એક ‘ચંદ્રનો એક દિવસ એટલે કે પૃથ્વીના 14 દિવસ’ સુધી વિવિધ પ્રયોગો કરશે. ગુરુવારે સવારે લેન્ડિંગના લગભગ 14 કલાક પછી, ઇસરોએ રોવરના બહાર નીકળવાની પુષ્ટિ કરી હતી. ચંદ્રની સપાટી પર આવતાની સાથે જ રોવરે સૌપ્રથમ તેની સૌર પેનલ ખોલી. તેણે ગુરુવારે ચંદ્રની સપાટી પર આગળ વધવાનું શરૂ કર્યું છે. તે 1 સેમી/સેકંડની ઝડપે આગળ વધે છે અને તેની આસપાસના વિસ્તારોને સ્કેન કરવા માટે નેવિગેશન કેમેરાનો ઉપયોગ કરે છે. તેમાં બે પેલોડ છે જે પાણી અને અન્ય કિંમતી ધાતુઓની શોધમાં મદદ કરશે. રોવર 12 દિવસમાં લગભગ અડધો કિલોમીટરનું અંતર કાપશે. આ વિડીયો પહેલાં એટલે કે ગુરુવારે ઈસરોએ લેન્ડિંગનો વીડિયો શેર કર્યો હતો. જેમાં ચંદ્રની સપાટી પર તરંગ જેવો નજારો જોવા મળ્યો હતો, ત્યાં ઘણાં નાના-મોટા ખાડાઓ પણ જોવા મળ્યા.

ચંદ્રયાન-3 વિષેનાં વધુ સમાચાર તેમજ જાણકારી માટે આપેલ લીંક પર ક્લીક કરો. https://www.cnngujarat.com/2023/08/23/history-of-india-chandrayan-3-successfully-landing/

ચંદ્રના એક દિવસ સુધી ચાલશે પ્રયોગો

ઈસરોના ચેરમેન સોમનાથે તે પણ જણાવ્યું હતું કે, ચંદ્રની સપાટી પર પ્રજ્ઞાન રોવર એક પછી એક પ્રયોગ કરશે. આ તમામ પ્રયોગો ચંદ્રના એક દિવસમાં (પૃથ્વીના 14 દિવસ) પૂરા કરવા પડશે. જ્યાં સુધી સૂર્યનો પ્રકાશ રહેશે ત્યાં સુધી તમામ સિસ્ટમને ઉર્જા મળતી રહેશે. જેવો સૂર્ય અસ્ત થશે ત્યારે ચારેય બાજુ અંધારું થઈ જશે. તાપમાન શૂન્યથી 180 ડિગ્રી સેલ્સિયસ નીચે જતું રહેશે. ત્યારે સિસ્ટમનું કામ કરવું શક્ય નહીં હોય. જો આ તે આગળ યથાવત રહેશે તો અમને ખુશી થશે કે તે ફરીથી સક્રિયા થઈ જશે અને અમે ફરીથી કામ કરી શકીશું. અમને આશા છે કે આવું જ થશે.

ચંદ્રયાન-3 વિષેનાં વધુ સમાચાર તેમજ જાણકારી માટે આપેલ લીંક પર ક્લીક કરો. https://www.cnngujarat.com/2023/08/24/chandryaan-3-will-return-to-earth/

ચંદ્રયાન-3 મિશનમાં સામેલ ઈસરોની ટીમને મળશે વડાપ્રધાન મોદી

આજે તેમની બે દેશોની મુલાકાત પૂર્ણ કર્યા પછી ગ્રીસથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પૂર્વ નિર્ધારિત મુલાકાતે સીધા બેંગલુરુ, કર્ણાટક જશે. જ્યાં તેઓ ચંદ્રયાન-3 મિશનમાં સામેલ ઈસરોની ટીમના વૈજ્ઞાનિકોને મળશે અને ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ બદલ અભિનંદન પાઠવશે. ચંદ્રયાન-3, 14 જુલાઈએ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યું હતું. અવકાશમાં 40 દિવસની સફર કર્યા પછી ચંદ્રયાન-3 લેન્ડર ‘વિક્રમ’ બુધવારે સાંજે 6.04 કલાકે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ થયું હતું. આ સાથે જ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ થનારો ભારત પ્રથમ દેશ બન્યો છે. વિક્રમ લેન્ડરના લેન્ડિંગમાં થોડી મિનિટો બાકી હતી ત્યારે વડાપ્રધાન મોદી દક્ષિણ આફ્રિકાથી ઓનલાઈન જોડાયા હતા.